રાજકોટ રહી નીટની પરિક્ષાની તૈયારી કરી રહેલી ઉપલેટાની નેન્સી પટેલનો ગળાફાંસો ખાઇ આપઘાત
મવડી પ્લોટની શ્રીનાથજી સોસાયટીમાં રૂમ ભાડે રાખીને રહેતી'તીઃ એક ભાઇથી નાની હતીઃ અભ્યાસના ટેન્શનમાં પગલુ ભર્યુ કે અન્ય કારણે? તે અંગે પોલીસની તપાસ
રાજકોટ તા. ૧૯: મવડી પ્લોટની શ્રીનાથજી સોસાયટીમાં લક્ષમણભાઇ ડાંગરના મકાનમાં રૂમ ભાડે રાખીને રહેતી અને નીટની પરિક્ષાની તૈયારી કરી રહેલી નેન્સી હસમુખભાઇ બેચરા (ઉ.વ.૨૫) નામની પટેલ યુવતિએ પંખાના હુકમાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
બનાવની જાણ થતાં માલવીયાનગરના હેડકોન્સ. સૂર્યકાંતભાઇ અને અરૂણભાઇ ચાવડાએ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે નેન્સી છ મહિનાથી લક્ષમણભાઇના મકાનમાં રૂમ રાખીને રહેતી હતી અને નીટની પરિક્ષાની તૈયારી કરતી હતી. રાતે તેણી ઉપરના માળેથી નીચે ન આવતાં મકાન માલિક તપાસ કરવા જતાં ઠાલો દરવાજો ખોલીને જોતાં તેણી લટકતી જોવા મળતાં ૧૦૮ને અને પોલીસને જાણ કરી હતી.
આપઘાત કરનાર નેન્સીના પિતા હરસુખભાઇ ખેતી કરે છે અને પ્રાઇવેટ નોકરી પણ કરે છે. તેણી એક ભાઇથી નાની હતી. અભ્યાસ માટે રાજકોટ આવી હતી અને રૂમ રાખીને રહેતી હતી. પરિવારજનોને જાણ થતાં માતા-ભાઇ સહિતના સ્વજનો રાજકોટ દોડી આવ્યા હતાં. નેન્સીએ અભ્યાસના ટેન્શનમાં પગલુ ભર્યાની પોલીસને પ્રાથમિક શકયતા છે. જો કે ખરેખર કારણ શું હશ? તે અંગે હવે તપાસ થશે. મૃતકના સ્વજનોના અને બહેનપણીઓના પણ પોલીસ નિવેદન નોંધી મૃતકને કોઇ પરેશાની હતી કે કેમ? તેની માહિતી મેળવશે.