મધ્યપ્રદેશમાં ફ્લોર ટેસ્ટ પૂર્વે 16 બાગી ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર : કમલનાથ આપશે રાજીનામુ ?
કાલે બપોરે 12 વાગ્યે કમલનાથની પ્રેસ કોન્ફ્રન્સ : વિધાનસભા ભંગનો દાવ ફેંકશે ?

ભોપાલઃ મધ્યપ્રદેશમાં કાલે ફ્લોર ટેસ્ટ પહેલા વિધાનસભાના અધ્યક્ષે બેંગલુરૂમાં રહેલા બળવાખોર 16 ધારાસભ્યોના રાજીનામાં સ્વીકારી લીધા છે. આ સાથે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા 92 પર આવી ગઈ છે.
દરમિયાન મુખ્યપ્રધાન કમલનાથ કાલે બપોરે 12 કલાકે પત્રકાર પરિષદ યોજીને રાજીનામું આપી શકે છે.અત્રે ઉલેલ્ખનીય છે કે મધ્યપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા રાજકીય નાટક પર સુપ્રીમ કોર્ટે કમલનાથ સરકારને શુક્રવારે સાંજે 5 કલાક સુધી ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશના સીએમ કમલનાથને ઝટકો આપતા શુક્રવારે બહુમત સાબિત કરવાનું કહ્યું હતું. આ મામલામાં ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં એમપી વિધાનસભાના સ્પીકર એનપી પ્રજાપતિને આદેશ આપ્યો કે તે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવે અને ફ્લોર ટેસ્ટ કરાવે. કોર્ટે 20 માર્ચે સાંજે 5 કલાક સુધી ફ્લોર ટેસ્ટની પ્રક્રિયા પૂરી કરવાનું કહ્યું હતું.