અટારી-વાઘા સરહદ દ્વારા ૪૩ ભારતીય પરત : ઉંડી ચકાસણી
અલગરીતે ૧૪ દિવસ રાખવાનો નિર્ણય કરાયો : પંજાબમાં કોરોના વાયરસના પહેલાથી કેટલાક કેસો થયા

અમૃતસર, તા. ૧૯ : પંજાબના અટારી સ્થિત ભારત-પાકિસ્તાન સરહદના રસ્તે ભારત આવેલા ૪૩ લોકોને ક્વારન્ટાઈન ફેસિલિટી સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા છે. આ તમામને કોરોના વાયરસની ચકાસણી હેઠળ રાખવામાં આવનાર છે. ૪૩ પૈકી ૨૯ ભારતીયો એવા છે જે દુબઈથી પરત ફર્યા છે જ્યારે ૧૪ ભારતીયો પાકિસ્તાનમાં અભ્યાસ કરી રહ્યા છે. અટારી-વાઘા સરહદના રસ્તે દેશમાં પરત ફરેલા ૪૩ ભારતીયોને અમૃતસરની ક્વારન્ટાઈન ફેસિલિટીમાં મોકલી દેવામાં આવ્યા છે. સિવિલ સર્જન પરિજિત કૌર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ ૪૩ પૈકી ૨૯ દુબઈથી પરત ફર્યા છે જ્યારે ૧૪ પાકિસ્તાનમાં અભ્યાસ કરી રહ્યા છે. આ તમામના મેડિકલ રિપોર્ટ રાજ્ય સરકારને મોકલી દેવામાં આવ્યા છે.
મેડિકલ રિપોર્ટ રાજ્ય સરકારને મોકલી દેવામાં આવ્યા બાદ પરિણામને લઇને રાહ જોવાઈ રહી છે. અટારી-વાઘા સરહદ મારફતે ગઇકાલે મોડી રાત્રે આ ૪૩ ભારતીયો પરત ફર્યા હતા. ક્વારન્ટાઈન ફેસિલિટી હેઠળ બહારથી આવેલા લોકો કોરોના વાયરસની તપાસ માટે ૧૪ દિવસ માટે અલગરીતે રાખવામાં આવે છે. પંજાબમાં હજુ સુધી કોરોના વાયરસના કેસો નોેંધાઈ ચુક્યા છે. એકનું મોત પણ થઇ ચુક્યું છે. કોરોના વાયરસના પ્રકોપને રોકવા માટે તથા કેદીઓની ભીડને ઓછી કરવાના હેતુસર પંજાબ જેલ વિભાગે રાજ્યની જુદી જુદી જેલોમાં રહેલા ૩૦૦૦ ડ્રગ્સ તસ્કરોને તથા ૨૮૦૦ નાના અપરાધીઓને મુક્ત કરી દેવાનો પ્રસ્તાવ મુક્યો છે. આ અંગેની માહિતી પંજાબ સરકારના મંત્રી દ્વારા આજે આપવામાં આવી હતી. પંજાબની સાથે સાથે અન્ય જુદા જુદા રાજ્યો દ્વારા પણ અસરગ્રસ્તોને હાલમાં જુદી જુદી જગ્યાઓએ અલગરીતે રાખવામાં આવી રહ્યા છે. સાવચેતીના ભાગરુપે આ હિલચાલ ચાલી રહી છે.