કડી તાલુકાના કરણનગર નજીક નર્મદા કેનાલમાં યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા જીકી હત્યા કરી લાશ ફેંકી દેવામાં આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી

કડી:તાલુકાના કરણનગરથી ફૂલેત્રા જતા રોડ ઉપર આવેલી નર્મદા કેનાલમાંથી સાણંદના ભાવનપુરના યુવાન ખેડૂતની લાશ મળી આવતાં ચકચાર ફેલાઈ હતી. કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવતા અજાણ્યા શખસોએ તેમના માથામાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ પુરાવાઓનો નાશ કરવા લાશને નર્મદા કેનાલમાં ફેંકી દેવાઈ હોવાનું ખુલવા પામ્યું છે. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
છેલ્લા ઘણા સમયથી કોટન સીટી તરીકે પ્રસ્થાપિત બનેલ કડી પંથકમાં ક્રાઈમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. હત્યાના કેસો સૌથી વધુ નોંધાયા છે. જેમાં વધુ એકનો ઉમેરો થયો છે. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો પ્રમાણે સાણંદ તાલુકાના ભાવનપુર ગામના ખેડૂત અનિલ બેચરભાઈ પટેલ (ઉ.વ.૪૮) ગઈકાલે પોતાની ગાડી લઈને ચેખલા ગામ તરફ નીકળ્યા હતા. ત્યારબાદ તેઓની લાશ સુજાતપુરા રોડ ઉપર નર્મદા કેનાલમાંથી મળી આવી હતી. તેમના માથાના ભાગે અજાણ્યા શખસોએ જીવલેણ ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાનું માલુમ પડતાં તેમના ભાઈ પ્રમુખભાઈ બેચરભાઈ પટેલે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.