જમશેદપુરમાં પૂ.ધીરજમુનિના સાંનિધ્યે વિશ્વ શાંતિ સદ્દભાવના જાપ સંપન્ન
પૂર્વ ભારતની પ્રભુ મહાવીર પ્રભાવિક ભૂમિમાં કોરોનાના ઉપદ્રવની ઉપશાંતિ અર્થે : રોગથી ડરવાની જરૂર નથી, સાવધાની રાખી બીજાને ઉપયોગી બનવાની જરૂરઃ પૂ.ધીરગુરૂદેવ

રાજકોટ,તા.૧૯: જમશેદપુરમાં શ્રી નરભેરામ હંસરાજ કમાણી જૈનભવનની આગ્રહભરી વિનંતીથી મંગળવારે સ્થીરતા કરનાર પૂ.શ્રી ધીરગુરૂદેવના સાંનિધ્યે કોરોના મહામારી રોગના ઉપદ્રવની ઉપશાંતિ અર્થે વિશ્વશાંતિ સદ્દભાવના જાપનું આયોજન કરાયું હતું.
મધ્યમંગલ સ્તોત્ર, પાઠ, શ્લોક વડે રોગની શાંતિ માટે સહુએ પ્રાર્થના કરેલ. પંચમહાવ્રતધારી સાધુ- સાધ્વીજીને ઉપયોગી સાતાકારી પાટ વિતરણમાં તરૂબેન રાજનભાઈ કમાણી, સુશીલાબેન પ્રફુલભાઈ કમાણી, કાંતિલાલ જે.ગાંધી, પ્રદીપભાઈ અજમેરા, પ્રવીણભાઈ દેસાઈ વગેરે પરિવાર જોડાતાં ૫૧ પાટના લાભાર્થી બન્યા હતા.
કાર્યક્રમનું સંચાલન સમીર મકાણીએ કરેલ. પ્રમુખ રાજનભાઈ પી. કમાણી સહિત સકલસંઘે ચાતુર્માસકલ્પની વિનંતિ કરેલ.
પૂ.ગુરૂદેવે જણાવેલ કે- સમગ્ર વિશ્વમાં સામુદાનિક કર્મના ઉદયે કોરોના વાયરસ મહામારી રોગનો ઉપદ્રવ વર્તાય રહ્યો છે. આવા સમયમાં જૈન ધર્મના તપ- જપ વગેરે ઉપશાંતિમાં નિમિતભૂત બની શકે છે. રોગથી ડરવાની જરૂર નથી. સાવધાની રાખીને બીજાને ઉપયોગી બનવાની જરૂર છે.