કોંગ્રેસના બન્ને ઉમેદવારો ભરતસિંહજી, શકિતસિંહજી મેદાનમાં: રાજયસભા જંગ જામશે

અમદાવાદઃ ગુજરાતમાં ૨૬ માર્ચના યોજાનાર રાજયસભાની ચૂંટણીમાં ૪ બેઠકો ઉપર મતદાન થવાનું છે. ૪ બેઠકો ઉપર પાંચ ઉમેદવારો મેદાનમાં હોવાથી જંગ જામશે અને કોણ હારશે તે અંગે ગણીતના મંડાણ થઈ રહ્યા છે. કોંગ્રેસે રાષ્ટ્રીય પ્રવકતા શકિતસિંહજી ગોહીલ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે, જયારે ભાજપે અભયભાઈ ભારદ્વાજ, નરહરીભાઈ અમીન અને રમીલાબેન બારાને ઉમેદવાર જાહેર કર્યા છે. ગઈકાલે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો અને કોઈ ઉમેદવારે ફોર્મ પરત ન ખેંચતા રાજયસભાની ૪ બેઠકો ઉપર પાંચ ઉમેદવારો વચ્ચે જંગ ફાઈનલ થયો છે. ભાજપ તરફથી ડમી ઉમેદવારો કિરીટસિંહ રાણા, અમિતભાઈ શાહ અને દિનેશ મકવાણાએ ફોર્મ પરત ખેંચ્યા હતા. કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ અન્ય ધારાસભ્યો પણ ભાજપના પક્ષમાં જાય તે આશંકાના લીધે કોંગ્રેસે મોટાભાગના ધારાસભ્યોને જયપુર મોકલી દીધા છે. હજી પણ કોંગ્રેસી ધારાસભ્યોના રાજીનામા પડવાનો દાવો કરાઈ રહ્યો છે. ગુજરાત વિધાનસભામાં હાલ કોંગ્રેસ પાસે ૬૮ અને ભાજપ પાસે ૧૦૩ ધારાસભ્યો છે, જયારે બીટીપીના બે, એનસીપી અને અપક્ષના ૧-૧ ધારાસભ્યો છે.