વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસના પ્રકોપથી બચવા માટે વિશ્વ બેડમિન્ટન સંઘ દ્વારા બીડબલ્યુએફ વર્લ્ડ ટૂર અને બેડમિન્ટન સાથે જોડાયેલ તમામ ટુર્નામેન્ટ ૧૨ એપ્રિલ સુધી સ્થગિત

નવી દિલ્હીઃ વિશ્વ બેડમિન્ટન સંઘ (BWF)એ વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસના પ્રકોપથી બચવા માટે બીડબ્લ્યૂએફ વર્લ્ડ ટૂર અને બેડમિન્ટન સાથે જોડાયેલી તમામ ટૂર્નામેન્ટ 12 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. બીડબ્લ્યૂએફના આ નિર્ણય બાદ હવે નવી દિલ્હીમાં માર્ચ 24થી 29 માર્ચ સુધી રમાનાર ઈન્ડિયન ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટ પણ સ્થગિત થઈ ગઈ છે.
બીડબ્લ્યૂએફએ કહ્યું કે, તેનો આ નિર્ણય રવિવારે સમાપ્ત થનારા ઓલ ઈંગ્લેન્ડ ઓપન બાદ સોમવારથી લાગૂ થશે. બેડમિન્ટનની સર્વોચ્ચ સંસ્થાએ કહ્યું કે, તમામ સભ્યોની સલાહથી આ સમયે તમામ ટૂર્નામેન્ટ રદ્દ કરી દેવામાં આવી છે, કારણ કે ખેલાડીઓની યાત્રાને લઈને ઘણા પ્રતિબંધ લાગેલા છે. સંસ્થાએ કહ્યું કે, ફેડરેશન તમામ ખેલાડીઓ, સભ્યો અને અધિકારીઓના સ્વાસ્થ્યની ચિંતા કરે છે.
કોરોના વાયરસને કારણે બીડબ્લ્યૂએફના આ નિર્ણયથી આગામી સપ્તાહે યોજાનાર સ્વિસ ઓપન, ઈન્ડિયા ઓપન, આર્લીનસ માસ્ટર્સ, મલેશિયા ઓપન અને સિંગાપુર ઓપન નક્કી કાર્યક્રમ પ્રમાણે યોજાશે નહીં. કોરોના વાયરસને કારણે ઘણી બેડમિન્ટન ટૂર્નામેન્ટ રદ્દ કે સ્થગિત થવાને કારણે ટોક્યો ઓલિમ્પિક ક્વોલિફાઇંગ અવધિ પર પણ તેની અસર પડી છે.
બીડબ્લ્યૂએફએ કહ્યું કે, તે ઓલિમ્પિક ક્વોલિફિકેશનને લઈને બાદમાં કોઈ નિર્ણય લેશે. વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે ફેબ્રુઆરીથી માર્ચ સુધી રમાનારી પાંચ બેડમિન્ટન ટૂર્નામેન્ટ પહેલાં જ રદ્દ કે સ્થગિત કરી દેવામાં આવી છે.
તેમાં પોલિશ ઓપન, વિયતનામ ઇન્ટરનેશનલ ચેલેન્જ, પોર્ટુગલ ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ, જર્મન ઓપન અને ચાઇના માસ્ટર્સ સામેલ છે. કોરોના વાયરસને કારણે સાત ભારતીયોએ પાછલા સપ્તાહે ઓલ ઈંગ્લેન્ડ ઓપનથી પોતાનું નામ પરત લઈ લીધું હતું.