આઈપીએલ રમાશે કે નહિં, અંતિમ નિર્ણય આ મહિનાના અંત સુધીમાં : ગાંગુલી કહે છે, ટૂંકાગાળા માટે રમાડાશે
કેટલી મેચો રમાશે એ નકકી નથીઃ બોર્ડની દર અઠવાડીયે મીટીંગ

મુંબઈઃ સૌરવ ગાંગુલીનું કહેવું કહેવું છે કે આઈપીએલ ૨૦૨૦ને શોર્ટ ટાઈમ માટે રમાવડામાં આવશે. ૨૯ માર્ચે શરૂ થનારી આઈપીએલને હવે ૧૫ એપ્રિલ સુધી પોસ્ટપોન્ડ કરવામાં આવી છે. આ વિશે સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે 'જો આ ટુર્નામેન્ટ રમાડવામાં આવે તો પણ એને શોર્ટ ટાઈમ માટે રમાડવામાં આવશે, કારણ કે એ ૧૫ એપ્રિલે શરૂ થાય તો પણ આપણી પાસે ૧૫ દિવસ ઓછા થઈ ગયા છે. કેટલી મેચ રમાડવામાં આવશે, કેટલા શોર્ટ ટાઈમ માટે હશે એ વિશે કંઈ કહી શકું એમ નથી. આ માટે હજી અમને એક અઠવાડિયાનો સમય લાગશે. દુનિયામાં શું ચાલી રહ્યું છે અને કોરોના વાઈરસ પર કેટલો કન્ટ્રોલ છે એ જોવું પડશે. અમે દર અઠવાડિયે આ વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને એ માટે સતત ઘણી ઓથોરિટીઝ સાથે વાત કરી રહ્યા છીએ.'આઈપીએલ આ વર્ષે કેટલા દિવસની હશે એ નકકી નથી. આ વિશે ગાંગુલીએ કહ્યું હતું કે આ સમયે કોઈપણ કમેન્ટ કરવી શકય નથી. અમે આઈપીએલ રમાય એને જેટલું પ્રાધાન્ય આપી રહ્યા છીએ એટલું જ પ્રાધાન્ય લોકોના સ્વાસ્થ્યને પણ આપી રહ્યા છીએ.ભારતીય ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે તેઓ આઈપીએલ વિશેનો આગામી નિર્ણય આ મહિનાના અંત સુધીમાં લઈ લેશે. આઈપીએલના માલિકો અને બીસીસીઆઈ વચ્ચે મીટિંગમાં માલિકોએ કહ્યું હતું કે તેઓ ખાલી સ્ટેડિયમમાં પણ મેચ રમાડવા તૈયાર છે અને એથી એ રમાડવી જોઈએ. જો કે આ ટુર્નામેન્ટને ખાલી સ્ટેડિયમમાં રમાડવી કે પછી એને હાલ પૂરતી કેન્સલ રાખવી એનો નિર્ણય આ મહિનાના અંત સુધીમાં લેવામાં આવશે, કારણ કે કોરોના વાઈરસ પર કન્ટ્રોલ કરવો એ સરકારની પ્રાયોરિટી છે.