તા.6 અને તા.7 મે ના રોજ ધ્રોલ ગાંધીચોકથી ત્રિકોણબાગ સર્કલ સુધીના રસ્તા પર તમામ પ્રકારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે
લોકસભા ચૂંટણી અંતર્ગત કાલાવડ વિધાનસભા મતદાર વિભાગને લગત રીસિવિંગ/ ડિસ્પેચીંગની કામગીરી હરધ્રોલ હાઇસ્કૂલ ધ્રોલ ખાતે થવાની હોય ટ્રાફિકની સમસ્યા ન ઉદભવે તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

જામનગર: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ૭૬-કાલાવડ વિધાનસભા મતદાર વિભાગને લગત રીસીવીંગ/ડીસ્પેચીંગની કામગીરી હરધ્રોલ હાઈસ્કુલ ધ્રોલ ખાતે થનાર છે. રીસીવીંગ/ડીસ્પેચીંગની કામગીરી દરમ્યાન સરકારી વાહનો અવર-જવર તેમજ અન્ય કામગીરી દરમ્યાન ટ્રાફીકની સમસ્યા ન ઉદભવે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે તા.૦૬/૦૫/૨૦૨૪ ના સવારના ૦૯:૦૦ કલાક થી સાંજના 0૪:૦૦ કલાક સુધી તથા તા.૦૭/૦૫/૨૦૨૪ ના સાંજના ૬:૦૦ કલાકથી રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ગાંધી ચોકથી ધ્રોલ ત્રિકોણબાગ સર્કલ સુધીના રસ્તા પર તમામ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
વૈકલ્પિક રુટ તરીકે ઉપરોકત સમય દરમ્યાન ગાંધી ચોકથી ત્રિકોણ બાગ તથા રાજકોટ-પડધરી જવા માટે ગાંધી ચોકથી શાક માર્કેટ થઈ કનૈયા હોટલ સુધીના બાવની નદી વાળો રસ્તો જવા આવવા માટે ઉપયોગ કરી શકાશે.
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે ફરજમાં રોકાયેલા તમામ વાહનો, ઈમરજન્સી સેવામાં રોકાયેલ એમ્બ્યુલન્સ, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ તથા ફાયર સર્વિસને મુકિત આપવાની રહેશે.તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.