રામ પાર્ક અને રૈયાધારમાં ગળાફાંસો ખાઇ જયેશભાઇ નૈનુજી તથા રવિરાજસિંહ જાડેજાની આત્મહત્યા
બાવાજી અને ગરાસીયા પરિવારમાં ગમગનીઃ બાવાજી યુવાને આર્થિક ભીંસને કારણે પગલુ ભર્યુ-ત્રણ સંતાન નોધારાઃ ગરાસીયા યુવાનમાં કારણ અકળ

રાજકોટ તા. ૧૬: આજીડેમ ચોકડી નજીક માનસરોવર પાર્ક મેઇન રોડ પર રામ પાર્ક-૩માં રહેતાં જયેશભાઇ રમેશભાઇ નૈનુજી (બાવાજી) (ઉ.વ.૪૨) નામના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
બનાવની જાણ ૧૦૮ના ઇએમટી દિવ્યાબેને કરતાં કન્ટ્રોલ રૂમના એએસઆઇ રાજુભાઇ મકવાણાએ આજીડેમ પોલીસને જાણ કરી હતી. એએસઆ વી. બી. સુખાનંદી તથા કિરીટભાઇ રામાવતે પહોંચી કાર્યવાહી કરી હતી. તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પોતે અગાઉ કારખાનામાં કામ કરતાં હતાં એ પછી ચા-નાસ્તાનો સ્ટોલ શરૂ કર્યો હતો. પરંતુ ધંધો ચાલ્યો નહોતો. હાલમાં બેકારી અને આર્થિક સંકડામણ ઉભી થતાં આ પગલુ ભર્યુ હતું.
બીજા બનાવમાં રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતાં રવિરાજસિંહ વનરાજસિંહ જાડેજા (ઉ.વ.૨૨) નામના યુવાને ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આપઘાત કરનાર યુવાન અપરિણીત હતો અને એકલો રહેતો હતો. તેના માતા-પિતા થોડા દિવસ પહેલા જ મુળ વતન શિહોર રહેવા જતાં રહ્યા હતાં. રવિરાજસિંહ અહિ રહી ઘર નજીક કાકા સાથે પાનની કેબીન ચલાવતો હતો. ગત સાંજે કાકા જમવાનું આપવા આવ્યા ત્યારે અંદરથી દરવાજો બંધ હતો. તિરાડમાંથી જોતાં તેણે લોખંડના એંગલમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લીધાની ખબર પડી હતી.
યુનિવર્સિટી પોલીસ મથકના બોગાભાઇ ભરવાડ અને લક્ષમણભાઇએ દરવાજો તોડાવી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાતનું કારણ બહાર આવ્યું નથી. યુવાન દિકરાના આ પગલાથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.