રાજકોટની સિવિલથી ભાગેલો કોરોનાનો શંકાસ્પદ પરત ફર્યો
દર્દીના નમૂના લઇ પરીક્ષણમાં મોકલાયા : સિવિલ હોસ્પિટલમાં સેમ્પલ લેવાય તે પહેલાં ભાગી જતા તંત્રમાં ભાગદોડ મચી હતી : દર્દીને લઇને નિરીક્ષણ પ્રક્રિયા

અમદાવાદ,તા.૧૫ : જર્મનીથી રાજકોટ આવેલો ૨૧ વર્ષનો યુવાનને શરદી, ઉધરસ, તાવના લક્ષણ જોવા મળ્યા હતા. આથી તે તા.૧૪ માર્ચે સાંજે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. તબીબોને શંકાસ્પદ કોરોના વાઇરસ હોવાનું માલુમ પડ્યું હતું. તેમના લોહીના નમૂના લેવાની તૈયારી થતી હતી. પરંતુ તે એકલો આવ્યો હોય ફોન કરી મિત્રને બોલાવી લઉં તેમ કહી ફરાર થઇ ગયો હતો. જો કે, હવે આજે તા.૧૫ માર્ચે સવારે આ દર્દી પાછો સિવિલ હોસ્પિટલમાં આવી ગયો હતો. નાયબ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, આ દર્દી આજે સવારે પરત ફર્યો છે અને તેના નમૂના લઇ પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા છે. ગઇકાલે સાંજે દર્દી ભાગી ગયો હોવાથી તેનું અધૂરૂ સરનામું જ અમારી પાસે હતું. રાત્રે અમારી ટીમ દ્વારા એરપોર્ટ ઓથોરીટી સાથે સંકલન કરી પાસપોર્ટ તથા મોબાઇલ નંબરની વિગત મેળવી હતી. આજે સવારે પાકુ સરનામું મળતા અમારી ટીમ દર્દીના ઘરે જઇને ફોન કર્યો હતો. જો કે, દર્દી બહાર હોવાથી ઘરે બોલાવી કોરોનાના ચેપની ગંભીરતા અંગે સમજાવી સિવિલમાં દાખલ કર્યો હતો. કોરોનાથી બચવા માટે સરકારે અલગ અલગ કાર્યવાહી હાથ ધરી છે એ જ દરમિયાન જર્મનીથી રાજકોટ આવેલો એક યુવાન કે જેમાં કોરોનાના લક્ષણ દેખાયા હતા.
તેના સિવિલ હોસ્પિટલમાં સેમ્પલ લેવાય તે પહેલાં જ ભાગી જતા તંત્રમાં દોડધામ મચી હતી. રાત્રે યુવાનને શોધવા વાહનો દોડાવાયા હતા. જર્મનીમાં નોકરી કરતો રાજકોટનો યુવાન ૩ દિવસ પહેલા શહેરમાં આવ્યો હતો. તા.૧૪ માર્ચે તેની તબિયત બગડતા તે સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો. આઈસોલેશન વોર્ડ પાસે યુવાનની તપાસ થઈ હતી અને લક્ષણો દેખાતા સેમ્પલ લેવા તજવીજ શરૂ કરાઈ હતી. તેવામાં જ તેણે ડોક્ટરને કહ્યું હતું કે, તે એકલો આવ્યો છે એટલે મિત્રને બોલાવવા ફોન કરવો છે. ફોન કરવાનું કહી બહાર ગયો હતો બાદમાં પરત ફર્યો ન હતો. આથી આરોગ્ય વિભાગે તેને પકડવા માટે તેના ઘરે ગઇ હતી પરંતુ તેનો પત્તો લાગ્યો નહોતો. જો કે, આજે દર્દી સિવિલમાં હાજર થઇ જતાં તંત્રએ પણ રાહતનો દમ લીધો હતો.