કોરોના ખૌફ : દિલ્હીમાં ૫૦ લોકોના એકઠા થવા પર રોક
જીમ, નાઇટક્લબ અને સ્પા પણ બંધ કરવા નિર્ણય : શક્ય હોય તો લગ્ન પ્રસંગોને ટાળવા માટે અપીલ કરાઈ

નવીદિલ્હી, તા. ૧૬ : કોરોના વાયરસનો સામનો કરવા માટે દિલ્હીમાં એક પછી એક પગલા લેવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, હવે કોઇપણ પ્રકારના કાર્યક્રમ, પ્રદર્શનમાં ૫૦થી વધુ લોકો એકત્રિત થઇ શકશે નહીં. પહેલા આ સંખ્યા ૨૦૦ રાખવામાં આવી હતી. અલબત્ત લગ્ન પ્રસંગને રાહત આપવામાં આવી છે. જીમ, નાઇટ ક્લબ, સ્પાને પણ ૩૧મી માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કરાયો છે. કેજરીવાલે કહ્યું હતું કે, લગ્ન પ્રસંગમાં છુટછાટ આપવામાં આવી છે. કેજરીવાલે લોકોને અપીલ કરતા કહ્યું છે કે, જો શક્ય હોય તો લગ્ન પ્રસંગને ૩૧મી માર્ચથી આગળ વધારી શકાય છે.
કેજરીવાલના કહેવા મુજબ કોઇપણ ધાર્મિક, સાંસ્કૃતિક પ્રદર્શનમાં ૫૦થી વધુ લોકો એકત્રિત થઇ શકશે. નિયમ તોડવાની સ્થિતિમાં એસડીએમ અને ડીએમ યોગ્ય પગલા લઇ શકે છે. દિલ્હીમાં ૩૧મી માર્ચ સુધી ૫૦થી વધુ લોકોવાળા ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે નહીં. રાજકીય બેઠકો પણ યોજાશે નહીં. કેજરીવાલના કહેવા મુજબ ત્રણ ચીજોને હાલમાં પાળવાની જરૂર દેખાઈ રહી છે. હાથ મિલાવવાની બાબત પણ યોગ્ય નથી. હાથને વારંવાર ધોવામાં આવે તે જરૂરી છે. હાથને આંખ, નાક અને મોંને સ્પર્શ ન કરવામાં આવે તે જરૂરી છે. દિલ્હીમાં સ્કુલો,, કોલેજો, યુનિવર્સિટી, થિયેટરો પહેલાથી જ બંધ છે પરંતુ મોલ અને માર્કેટને હાલમાં રાહત આપવામાં આવી છે. કેજરીવાલના કહેવા મુજબ જરૂરની ચીજો હોવાથી તેમને બંધ કરી શકાય નહીં.