મોદી ૧૪ મેના રોજ વારાણસી સીટ પરથી ઉમેદવારી નોંધાવશે
પહેલા ૧૩ મેના રોજ તેઓ ૪ કિલોમીટર લાંબો રોડ શો કરશે

વારાણસી, તા.૪: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૧૪ મેના રોજ વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવશે. આ પહેલા ૧૩ મેના રોજ તેઓ વારાણસીમાં રોડ શો કરશે. વારાણસી લોકસભા સીટ માટે ૧ જૂન ૨૦૨૪ના રોજ મતદાન થશે. પીએમ મોદી વારાણસી બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે પીએમ મોદીના રોડ શો અને નોમિનેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પીએમ મોદી ૧૩ મેના રોજ બપોરે વારાણસી પહોંચશે. તેઓ કાશીમાં લંકા ચોક પર મદન મોહન માલવીયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ રોડ શો કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીનો રોડ શો લગભગ ૪ કિલોમીટર લાંબો હશે.
વારાણસી લોકસભા સીટ માટે નામાંકન ભરવાનું કામ ૭ મેથી શરૂ થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પરથી નરેન્દ્રભાઇ મોદીને ત્રીજી વખત પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ૨૦૧૪ પછી નરેન્દ્રભાઇ મોદીને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પણ વારાણસીના લોકોનું જોરદાર સમર્થન મળ્યું હતું.
પીએમ નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૧૪માં પહેલીવાર વારાણસીથી લોકસભાની ચૂંટણી લડી હતી. અગાઉ ૨૦૦૯માં યોજાયેલી ચૂંટણીમાં અહીંથી ડૉ.મુરલી મનોહર જોશી સાંસદ હતા. વારાણસી લોકસભા મતવિસ્તારમાં પાંચ વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે - રોહાનિયા, વારાણસી ઉત્તર, વારાણસી દક્ષિણ, વારાણસી કેન્ટ, સેવાપુરી.
૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીએ વારાણસી બેઠક પરથી ભવ્ય જીત મેળવી હતી. તેમને ૬૭૪૬૬૪ મત મળ્યા, જ્યારે સપાના શાલિની યાદવ ૧,૯૫,૧૫૯ મતો સાથે બીજા ક્રમે અને કોંગ્રેસના અજય રાય ૧,૫૨,૫૪૮ મતો સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા. ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડા અનુસાર, વારાણસીની વસ્તી લગભગ ૩૭ લાખ હતી. વારાણસીની ૭૫.૬૦ ટકા વસ્તી સાક્ષર છે. આમાં પુરુષોનો સાક્ષરતા દર ૮૩.૭૮ ટકા અનેસ્ત્રીઓનો સાક્ષરતા દર ૬૬.૬૯ ટકા છે.