મલેરિયા સામે રક્ષણ આપતી મચ્છરદાનીઓ લોકભાગીદારીથી દવાયુક્ત કરવામાં આવી
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારીના માર્ગદર્શન મુજબ મચ્છરદાનીઓ દવાયુક્ત કરવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ૨૦૨૨ સુધી ગુજરાત અને ૨૦૩૦ સુધીમા સંપૂર્ણ ભારત મેલેરિયા મુક્ત બને તેવા ઉદેશ્ય સાથે હાથ ધરાયેલી ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ જિલ્લા પંચાયત સંલગ્ન મેલેરિયા શાખા દ્વારા મેલેરીયા સામે રક્ષણ આપતી મચ્છરદાનીઓ લોકભાગીદારીથી દવાયુક્ત કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા લોકભાગીદારીથી લોકોને મચ્છરદાનીઓ દવાયુક્ત કરી આપવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ તથા અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન મુજબ મચ્છરદાનીઓ દવાયુક્ત કરવામાં આવી હતી.
અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતું કે, ૨૦૨૨ સુધી સમગ્ર ગુજરાતમાંથી મેલેરિયાનું નિર્મૂલન કરવા તેમજ ૨૦૩૦ સુધીમા સંપૂર્ણ ભારતને મેલેરિયા મુક્ત કરવાના ઉદેશ્ય સાથે હાથ ધરાયેલી ઝુંબેશના ભાગરૂપે મેલેરિયા શાખા અમદાવાદ દ્વારા વિવિધ તાલુકાઓમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા લોકભાગીદારીથી લોકોને મચ્છરદાનીઓ દવાયુક્ત કરી આપવામાં આવી છે. અમદાવાદ જીલ્લામાં કુલ ૮૮૪૮૫ મચ્છરદાનીઓ લોકભાગીદારીથી દવાયુક્ત કરવામાં આવેલ છે. લોકો પોતાની મચ્છરદાની લઇને આવ્યા અને કર્મચારીઓ દ્વારા જીલ્લામાંથી આપવામાં આવેલ દવાથી મચ્છરદાનીઓ દવાયુક્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકોને દવાયુક્ત મચ્છરદાનીના ફાયદા સમજાવવામાં આવ્યા હતા. આ દવાની કોઈ આડઅસર થતી નથી. લોકોએ માત્ર આ મચ્છરદાની તડકામાં ન રહે તેની તકેદારી રાખવાની હોય છે. કોઈ પણ તાવ મલેરિયા હોય શકે છે એટલે તાવ આવે તો આરોગ્ય કાર્યકર અથવા તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જઈને લોહીની તપાસ કરાવવી જોઈએ. પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા જોઇએ.