ટ્રેન મારફત અમદાવાદ આવતા મુસાફરોનું સતત 14માં દિવસે ટેસ્ટિંગ ચાલુ :આજે વધુ 42 પોઝિટિવ કેસો મળ્યા
હાવરા એક્સપ્રેસમાંઆવેલ મુસાફરોમાંથી સૌથી વધુ 22 પોઝીટીવ કેસ મળ્યા

અમદાવાદ : અમદાવાદમાં ટ્રેન મારફત આવતા મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ સતત ચાલુ છે દર સપ્તાહે રવિવારે અમદાવાદ આવતી હાવરા એક્સપ્રેસમાં આવેલા મુસાફરોમાંથી સૌથી વધુ 22 કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. અમદાવાદ આવેલી જુદી જુદી ટ્રેનોના મુસાફરોના ટેસ્ટિંગમાં કુલ 42 કેસો મળ્યા હતા. તેના 50 ટકાથી વધુ કેસ તો એકલી હાવરા એક્સપ્રેસમાંથી મળ્યા છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા આજે સતત 14માં દિવસે પણ દેશના જુદા જુદા સ્થળેથી ટ્રેન મારફતે અમદાવાદ આવતાં મુસાફરોનું ટેસ્ટિંગ ચાલુ રાખ્યું હતું. 2442 મુસાફરોના ટેસ્ટ કર્યા હતા. તેમાંથી 42 કેસો પોઝિટિવ મળી આવ્યા હતા. આ 42 કેસો પૈકીના 23 દર્દીઓને સાબરમતી રેલવે સ્ટેશન ખાતે બનાવવામાં આવેલા કોવીડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયારે બાકીના 19 દર્દીઓને હોમ કવોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા.
અમદાવાદ શહેરમાં નોવેલ કોરાના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ટેસ્ટિંગ દરમિયાન પરપ્રાંતિય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા.
શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં ઘણો સમય વ્યતીત થતો હતો. બીજી તરફ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરે તેવી શકયતા દેખાઇ રહી હતી. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતિય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું.
જેના ભાગરૂપે જ અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી. આજે કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવેલી અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસના 826 મુસાફરોનું ટેસ્ટિંગ થયું હતું. તેમાંથી 11 કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. જયારે ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં આવેલા 409 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 6 કોરોના પોઝિટિવ કેસો મળ્યા હતા.
તે જ રીતે મુઝફરપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 559 પ્રવાસીઓની ચકાસણીમાં 3 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. જયારે હાવડા એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 648 પ્રવાસીઓમાંથી 22 પોઝિટિવ કેસો મળ્યા હતા. આમ સરવાળે આજે કુલ 2442 મુસાફરોનું દિવસ દરમિયાન ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં 42 મુસાફરો કોરોના પોઝિટિવ નિકળ્યા હતા. આગામી સમયમાં પણ મોટાપાયા પર વિવિધ સ્થળોએ ટેસ્ટિંગની કામગીરી ચાલુ રહેશે તેવું કોર્પોરેશને જાહેર કર્યું છે.