રાજ્યસભા ચૂંટણીને લઇ પાંચ ઉમેદવારો દ્વારા સંપત્તિ જાહેર
નરહરિ અમીનની આવક ૪૭૬૮૩૬૬૫૦ રૂપિયા : શક્તિસિંહની સામે બિહારમાં હિંસાનો એક કેસ દાખલ

અમદાવાદ, તા. ૧૫ : ૨૬મી માર્ચના દિવસે રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે. આને લઇને ભાજપ અને કોંગ્રેસના પાંચ ઉમેદવારોએ તેમની એફિડેવિટ દાખલ કરી દીધી છે. આ એફિડેવિટમાં ભાજપના ઉમેદવાર નરહરિ અમીને તેમની સંપત્તિ ૩૧.૦૭ કરોડ દર્શાવી છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલે ઉલ્લેખ કરતા કહ્યું છે કે, પટણામાં કોટવાલી પોલીસ સ્ટેશનમાં તેમની સામે રમખાણનો એક કેસ દાખલ થયેલો છે. શક્તિસિંહે એમ પણ કહ્યું છે કે, યુવાનોને રોજગારી પુરી પાડવામાં તેની નિષ્ફળતા બદલ કેન્દ્ર સરકાર સામે વિરોધ યોજીને રેલી યોજવામાં આવી હતી. બિહાર રાજ્ય કોંગ્રેસના ઇન્ચાર્જ પર આ કેસમાં આરોપ મુકવામાં આવ્યા હતા. જો કે, ચાર્જ હજુ પણ દાખલ કરાયા નથી. શક્તિસિંહે તેમની કુલ આવક ૫૩૦૪૪૦ દર્શાવી છે.
તેમની સામે બિહારમાં એક કેસ પણ નોંધાયેલો છે. જ્યારે ભાજપના અભય ભારદ્વાજની સંપત્તિ ૧૨૬૦૯૬૦ દર્શાવવામાં આવી છે. તેમની સામે કોઇપણ પ્રકારનો ગુનેગારી કેસ નોંધાયેલો નથી. કોંગ્રેસના ભરતસિંહની સામે કોઇપણ ગુનેગારી કેસ નોંધાયેલો નથી. રાજ્યસભા ચૂંટણી માટે પોતાની એફિડેવિટમાં ભરતસિંહે કુલ આવક ૧૪૬૮૦૫૮ નોંધાઈ છે. આવી જ રીતે ભાજપના રમીલાબેન બારાએ તેમની આવક ૭૭૨૪૭૦ દર્શાવી છે તેમની સામે પણ કોઇપણ ગુનેગારી કેસ નોંધાયેલો નથી. બીજી બાજુ વિધાનસભા સત્રને વહેલીતકે ટુંકાવી દેવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે. કારણ કે, કોરોના વાયરસને લઇને સાવચેતી રાખવામાં આવી રહી છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા ૨૦૧૭ જેવી જ સ્થિતિ સર્જાય તેવી દહેશત કોંગ્રેસને દેખાઈ રહી છે. કોંગ્રેસમાં રહેલા સુત્રોના કહેવા મુજબ ધારાસભ્યોને સુરક્ષિત રાખવાના પ્રયાસ થઇ રહ્યા છે.